ગુજરાતના પાડોશમાં મળી આવેલા 'ચક્રવ્યૂહ' અને રોમન સામ્રાજ્ય વચ્ચે શું કનેક્શન છે, શું છે તેનું રહસ્ય?

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મયૂરેશ કોણ્ણુર
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 9 મિનિટ

અમુક વર્ષ પહેલાં સોલાપુરમાં પક્ષી નિરીક્ષકોના એક જૂથને પીળા ઘાસમાં કંઈક અલગ જ નજરે પડ્યું.

સોલાપુરથી લગભગ દસ કિલોમીટર દૂર બોરામણી ગામ પાસે માલધોક પક્ષી માટે એક અભયારણ્ય આવેલું છે. ત્યાંથી તેમણે આ રચનાને એક ઘાસવાળી ટેકરી પરથી જોયું હતું. આ રચના નજર પહોંચે ત્યાં સુધી વિસ્તરેલી જણાઈ રહી હતી.

વિસ્તારમાં કન્ઝર્વેશન માટે કામ કરતા ભરત છેડા કહે છે, "એ પથ્થરોનું બનેલું માળખું હતું. 2022 ની આસપાસ મારી પાસે એક ડ્રોન આવ્યું. એ ડ્રોનથી એક ફોટો લીધો. એ કંઈક વર્તુળ જેવું હતું. અમને સમજાયું નહીં કે એ શું છે. અમે તે ફોટો અમારા એક ઓળખીતા સંશોધકને મોકલ્યો અને પછી અમે તેના વિશે લગભગ ભૂલી ગયા." ભરત છેડા કહે છે, જે આ વિસ્તારમાં સંરક્ષણવાદી તરીકે કામ કરે છે.

અંતે આ ફોટો કોલ્હાપુરના સચીન પાટીલ સુધી પહોંચ્યો. ડિસેમ્બર 2025ના બીજા અઠવાડિયામાં પાટીલ બોરામણીમાં આ જગ્યાએ પહોંચ્યા હતા.

તેમણે ત્યાં પહોંચીને જે જોયું તેના પર વિશ્વાસ ન કરી શક્યા, પરંતુ અંતે રહસ્ય ખૂલી ગયું. તે આખા ભારતમાં અત્યાર સુધી મળેલું સૌથી મોટું 'ચક્રવ્યૂહ' હતું.

અહીં પથ્થરનાં કુલ 15 વર્તુળ હતાં, જે કેન્દ્રથી શરૂ થઈને એક પછી એક મોટાં થતાં ગયાં. પુરાતત્ત્વશાસ્ત્રમાં તેને ભુલભુલામણી કહેવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Shardul Kadam/BBC Marathi

ઇમેજ કૅપ્શન, અહીં પથ્થરનાં કુલ 15 વર્તુળ હતાં, જે કેન્દ્રથી શરૂ થઈને એક પછી એક મોટાં થતાં ગયાં

પુણેમાં પુરાતત્ત્વના અભ્યાસ માટે ખ્યાત સંસ્થા ડેક્કન કૉલેજમાંથી પીએચ.ડી. કરી રહેલા સચીન પાટીલે 2018થી પશ્ચિમ મહારાષ્ટ્રમાં આવી 11 ભુલભુલામણી શોધી કાઢી છે.

સચીન પાટીલ અમારી સાથે બોરામણી ટેકરી પર પાછા આવ્યા. તેમણે કહ્યું, "જ્યારે હું પહેલી વાર અહીં આવ્યો ત્યારે એટલું બધું ઘાસ હતું કે ખબર પણ નહોતી પડી રહી કે આ ભુલભુલામણી છે કે બીજું કંઈ?"

"પરંતુ જ્યારે અહીં સફાઈ કરવામાં આવી, ત્યારે હું પણ આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે હું ભારતમાં પહેલી વાર 15 સર્કિટ (વર્તુળો)ની શાસ્ત્રીય સ્વરૂપની ભુલભુલામણી જોઈ રહ્યો હતો."

આ પુરાતત્ત્વ વિજ્ઞાનની દૃષ્ટિએ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઘટના છે. પહેલી નજરે, તે એક પથ્થરની રચના હોય તેવું લાગે છે, જે ઘણાં વર્તુળોની બનેલી છે.

પરંતુ આ હજારો વર્ષોથી વિશ્વભરના ઘણા દેશો અને સંસ્કૃતિઓમાં જોવા મળતી સમાન રચના છે. આ રચના હજુ પણ પુરાતત્ત્વવિદો માટે ઘણાં રહસ્ય ધરબીને બેઠી છે.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

આ ભુલભુલામણી શું છે? એ કોણે બનાવી?

સોલાપુર નજીક બોરામણી ખાતે આવેલી આ ભુલભુલામણીનો વ્યાસ લગભગ 50 ફૂટ છે. એ ભારતમાં જોવા મળતી આ પ્રકારની સૌથી મોટી ગોળાકાર ભુલભુલામણી છે.

સચીન પાટીલ કહે છે કે અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 12 ભુલભુલામણી મળી આવી છે, જેમાં બોરામણીનો પણ સમાવેશ થાય છે, અને દેશભરમાં લગભગ 70 ભુલભુલામણી મળી આવી છે.

તામિલનાડુના ગોડીમેડુમાં 56 ફૂટ પહોળી ભુલભુલામણી મળી આવી છે, પરંતુ તે લંબચોરસ છે. પરંતુ વિશ્વભરમાં જોવા મળતી મોટા ભાગની ભુલભુલામણી ગોળાકાર હોય છે.

પણ આ છે શું? સરળ શબ્દોમાં કહીએ તો તે એક બીજાની ટોચ પર ગોઠવાયેલાં વર્તુળો અથવા ભૌમિતિક આકારોની શ્રેણી છે. કેટલીક રચના પથ્થરથી બનેલી હોય છે, જ્યારે કેટલીક ખડકો અથવા દીવાલોમાં કોતરેલી હોય છે.

ઘણી જગ્યાએ,આ રચના મંદિરો અથવા કેથીડ્રલ જેવાં ધાર્મિક સ્થળો પર કોતરેલી અથવા રંગાયેલી જોવા મળે છે.

ઇમેજ સ્રોત, Sachin Patil

ઇમેજ કૅપ્શન, મંદિરો અથવા કેથીડ્રલ જેવાં ધાર્મિક સ્થળો પર ભુલભુલામણીની રચના કોતરેલી અથવા રંગેલી જોવા મળે છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

"મૂળભૂત રીતે ભુલભુલામણીની રચના એવી હોય છે કે તેમાં હંમેશાં એક જ રસ્તો હોય છે. તે સૌથી બહારના પરિઘથી કેન્દ્ર તરફ અથવા છેડા સુધી જાય છે."

ઇંગ્લૅન્ડથી અમારી સાથે વાત કરતાં જેફ સાવર્ડે કહ્યું,"આ ભુલભુલામણી સમગ્ર વિશ્વમાં લગભગ એક જ ડિઝાઇનની હોય છે. આની પાછળનું કારણ હજુ પણ એક રહસ્ય છે."

જેફ સાવર્ડ પાછલા પાંચ દાયકાથી જંગલમાં ભુલભુલામણીનો અભ્યાસ કરી રહ્યા છે. તેઓ ભુલભુલામણી અને તેના સંશોધન માટે સમર્પિત જર્નલ, સેરડ્રોઇયાનું સંપાદન અને પ્રકાશન કરે છે.

તેઓ 'લેબિરિન્થોસ' નામનું એક ઑનલાઇન આર્કાઇવ પણ ચલાવે છે, જ્યાં આ વિષય પરનું તમામ સંશોધન બધા માટે ઉપલબ્ધ છે.

જેફ કહે છે કે ઇતિહાસમાં જુદા જુદા કાળમાં વિશ્વભરની ઘણી સંસ્કૃતિઓમાં ભુલભુલામણી મળી આવી છે. તેના વિશે ઘણા પ્રશ્નોના જવાબ હજુ મળવાના બાકી છે.

એ કોણે બનાવી? એ દરેક જગ્યાએ એકસરખી કેમ છે, મોટા ભાગે એક જ ડિઝાઇનવાળી? ભુલભુલામણી બનાવવાનું કારણ શું છે? આવા ઘણા બધા પ્રશ્નો છે.

"આ રચના સમગ્ર વિશ્વમાં જોવા મળે છે, એરિઝોના, આઇસલૅન્ડ, આર્કટિક રશિયાથી લઈને સમગ્ર યુરોપ, ઉત્તર આફ્રિકા અને એશિયામાં પણ."

ખાસ કરીને ભારત કે શ્રીલંકા, પાકિસ્તાન, નેપાળ અને ઇન્ડોનેશિયામાં સુમાત્રા અને જાવા જેવાં સ્થળોએ પણ.

જેફ કહે છે, "જ્યાં પણ આ ભુલભુલામણી જોવા મળે છે, ત્યાં બધે તેની રચના એકસમાન જ જોવા મળે છે, અને આ વાત એક રહસ્ય છે."

ભારત અને સમગ્ર વિશ્વમાં મળી આવેલી ભુલભુલામણી

ઇમેજ સ્રોત, labyrinthos.net/

ઇમેજ કૅપ્શન, સદીઓથી ઘણી સંસ્કૃતિઓમાં ભુલભુલામણીની રચનાઓ મળતી આવતી રહી છે

સદીઓથી વિવિધ સંસ્કૃતિઓમાં ભુલભુલામણી જોવા મળે છે.

એ પોતપોતાના પ્રદેશોમાં વિવિધ દંતકથાઓ અથવા પૌરાણિક કથાઓ સાથે પણ સંકળાયેલી છે. એ વાર્તાઓ આજે પણ ચલણમાં છે.

જેફ કહે છે, "આ પ્રકારની રચનાઓ બનાવવાનો હેતુ શું છે? આનો કોઈ એક જ જવાબ નથી. કારણ કે જુદી જુદી સંસ્કૃતિમાં તેનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે."

"ઉદાહરણ તરીકે, દક્ષિણપશ્ચિમ અમેરિકાના એરિઝોનામાં, તેનો ઉપયોગ એક પવિત્ર પર્વતની ટોચ તરફ જતા માર્ગ પર થતો હતો, જ્યાં એક સ્થાનિક આદિજાતિના વડા રહેતા હતા. ટોચ પર જવાનો માર્ગ એટલો વળાંકવાળો છે કે કોઈ તેમની પાછળ તેમના ઘર સુધી જઈ શકતું નહીં."

જેફ આગળ કહે છે કે, "અફઘાનિસ્તાનમાં, મહેલની આસપાસની દીવાલોમાં એક ભુલભુલામણી છે. શ્રીલંકામાં શહેરની એક દીવાલ છે. આમ, આવી ઘણી વાર્તાઓ છે, અને તેમાં ઘણી સમાનતા છે. પરંતુ ભુલભુલામણીનો ઉપયોગ કરવાનું કોઈ એક કારણ નથી."

જેફના મતે, ભુલભુલામણી હજારો વર્ષોથી અસ્તિત્વમાં છે, પરંતુ તેની શોધ અને અભ્યાસ તાજેતરમાં જ શરૂ થયાં છે.

ભારતમાં પણ સંશોધકો હાલનાં વર્ષોમાં જ તેની તરફ આકર્ષાયા છે અને સમાન નોંધો રાખવાનું શરૂ કર્યું છે.

"કર્ણાટકના બીજાપુર ખાતે પણ આવી જ એક રચના મળી આવી છે. ગોવામાં, ઉસ્લાઈ માલ ખાતે ખડકોમાં કોતરેલી એક ભુલભુલામણી જોઈ શકાય છે, જે પથ્થરની કોતરણીના જૂથનો એક ભાગ છે."

"આંધ્રપ્રદેશમાં, ગોદાવરી જિલ્લામાં ઉપરના ભાગે ખડક ચિત્રોમાં એક ભુલભુલામણી મળી આવી છે. અશોકના સમયના સ્તંભો પર ભુલભુલામણી મળી આવી છે."

"પશ્ચિમ બંગાળમાં, ભુલભુલામણીને યમદ્વાર કહેવામાં આવે છે. તેનો અર્થ મુક્તિનો માર્ગ છે."

સંશોધક સચીન પાટીલ કહે છે, "ઉત્તર ભારતમાં પણ આવી ભુલભુલામણી જોવા મળે છે. અત્યાર સુધીમાં દક્ષિણ ભારતમાં સૌથી વધુ ભુલભુલામણી મળી આવી છે. ત્યાં લગભગ 30થી 35 ભુલભુલામણી છે."

ભારતમાં અને અન્ય કેટલાંક સ્થળોએ ભુલભુલામણી સ્થાનિક દંતકથા સાથે પણ સંકળાયેલી છે.

અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં, ખાસ કરીને પશ્ચિમ મહારાષ્ટ્રમાં, ઘાટ નજીક 12 ભુલભુલામણી નોંધાઈ છે.

બોરામણીનો 'ચક્રવ્યૂહ' કેવો છે?

ઇમેજ સ્રોત, Shardul Kadam/BBC Marathi

જો તમે સોલાપુર નજીક માલધોક અભયારણ્ય પાસે આવેલા બોરામણી નજીક માલ ખાતે જાઓ તો ત્યાં જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી મેદાની વિસ્તાર જોવા મળશે.

પીળા રંગના ઘાસ પર બાવળનાં ઘણાં વૃક્ષો અને થોડાં બીજાં કાંટાળાં વૃક્ષો છે. આ ઝાડીઝાંખરામાંથી ઘણા રસ્તા પેટર્નમાં પસાર થાય છે.

ત્યાં ઘણા જૂના કાટમાળવાળા રસ્તા પણ જોવા મળશે, જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે વિચરતી જાતિનાં બે જૂથો ઘોડા સાથ દૂરથી ચાલતાં આવતાં દેખાયાં અને વિરુદ્ધ દિશામાં ચાલ્યાં ગયાં.

આ ટેકરી પર 15 વર્તુળોની ભુલભુલામણી મળી આવી હતી.

એ ઘાસથી ઢંકાયેલી હતી, પરંતુ હવે જ્યારે તેની હકીકત ખબર પડી છે, અને તેના સમાચાર સ્થાનિક અખબારોમાં પ્રકાશિત થતાં આ ટેકરી પર મુલાકાતીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

ઇમેજ સ્રોત, Sachin Patil

ઇમેજ કૅપ્શન, અગાઉ પશ્ચિમ મહારાષ્ટ્રમાં સાંગલી નજીક એક ભુલભુલામણી મળી આવી હતી

"નિઃશંકપણે આ હાલના સમયમાં ભારતની સૌથી મોટી ભુલભુલામણી છે, અને ચોક્કસપણે આ સૌથી જટિલ ઉદાહરણોમાંની એક પણ છે, તેની રચના 15 વર્તુળોની છે."

જેફ સાવર્ડ કહે છે કે, "આ એક સંયોગ હોઈ શકે છે, પરંતુ આ રચના યુરોપના ઉત્તરમાં આવેલા સ્વીડન, ફિનલૅન્ડ અને આર્કટિક રશિયામાં જોવા મળતી રચનાઓ જેવી જ છે. પરંતુ એ ચોક્કસપણે સંબંધિત નથી."

અમે સચીન પાટીલ અને પુણેની ડેક્કન કૉલેજના પ્રોફેસર પીડી સાબલે સાથે સ્થળની મુલાકાત લીધી.

તેઓ આ ટેકરી પર પથ્થરની રચનાઓ મળી આવવાની વાતનું મહત્ત્વ જાણે છે, તેમને પશ્ચિમ મહારાષ્ટ્રના ઘાટ પર આવી 12 રચનાઓ મળી છે.

આ બધી રચનાઓ એવાં સ્થળોએ મળી આવી છે, જ્યાંથી ઐતિહાસિક વેપાર માર્ગો પસાર થતા હતા.

તેથી જાણકારોના મતે ભારતમાં પશ્ચિમ કાંઠે સાથે ખાસ કરીને રોમન અને ગ્રીક સામ્રાજ્ય સાથેનો વેપાર ભારત સુધી ચાલતી આવતી ભુલભુલામણીની શ્રેણી સાથે સંકળાયેલો હોઈ શકે.

2000 વર્ષ પહેલાં વેપાર સાથે કોઈ કનેક્શન ખરું?

ઇમેજ સ્રોત, Sachin Patil

ઇમેજ કૅપ્શન, રોમન સમયગાળાના સિક્કા પર કોતરેલી ભુલભુલામણી ડિઝાઇનનું ચિત્રણ

જેફ સાવર્ડ મુજબ, ભારતીય ઇતિહાસમાં આ ડિઝાઇનના સ્વતંત્ર સંદર્ભો છે.

આ વિચાર ક્યાંથી ઉદ્ભવ્યો, શું એ સ્થાનિક હતો કે પછી આ વિચાર એકથી બીજા સ્થળે એમ બધે ફેલાયો અને એની પાછળનાં કારણો શું છે?

આ બધા પ્રશ્નોની પુરાતત્ત્વીય પુરાવા મારફતે અભ્યાસ કરવાની જરૂર છે.

"ભારતની ભુલભુલામણી વિશે દુનિયાભરમાં ખૂબ જ કુતૂહલ છે. ભુલભુલામણીની આ રચના સમગ્ર ભારતમાં વ્યાપકપણે ફેલાયેલી છે."

"પરંતુ મોટો પ્રશ્ન એ છે કે ભુલભુલામણી ભારત સુધી કેવી રીતે પહોંચી. ભારતીય ઇતિહાસમાં તેનો ઉલ્લેખ ખૂબ જ પુરાણા સમયથી જોવા મળે છે."

જેફે કહ્યું, "ઉદાહરણ તરીકે, ભુલભુલામણીનું માળખું પણ મહાભારતમાં જેનો ઉલ્લેખ કરાયો છે એવી 'ચક્રવ્યૂહ' નામની યુદ્ધ સંરચનાનો ભાગ હતું."

"પાછળથી આ ભુલભુલામણીમાં પણ આ જ ડિઝાઇન જોવા મળે છે, ખાસ કરીને ભારતના પશ્ચિમ કિનારે, પરંતુ વાસ્તવિક પ્રશ્ન એ છે કે આ કેવી રીતે થાય છે?"

ઇમેજ સ્રોત, Sachin Patil

ઇમેજ કૅપ્શન, ઐતિહાસિક સમયમાં મહારાષ્ટ્રમાં વેપાર માર્ગો અને શોધાયેલી ભુલભુલામણી દર્શાવતો નકશો

"આપણને એ વાતની ચોક્કસ ખબર છે કે 2000 વર્ષ પહેલાં ગ્રીક અને રોમન સામ્રાજ્યો વચ્ચે વ્યાપક વેપાર ચાલતો, ખાસ કરીને ભારતના પશ્ચિમ કિનારાને સમાંતરે."

"રોમન લોકો ભુલભુલામણી વિશે બધું જ જાણતા હતા. તેમની પરંપરાઓમાં તે એક લોકપ્રિય વાર્તા હતી. તેમણે નાના સિક્કા પણ બનાવ્યા હતા."

જેફ વિગતવાર વાત કરતાં કહે છે, "ઉદાહરણ તરીકે, સમ્રાટ ઑગસ્ટસે વિવિધ પૌરાણિક વાર્તાઓ સાથે સિક્કાઓની શ્રેણી જાહેર કરી હતી. તેમાંથી એક પર ભુલભુલામણી હતી."

"તે સિક્કાઓની પાછળ, ભારતમાં જોવા મળતા ભુલભુલામણી જેવી જ રચના સાથેનું ચિત્ર છે."

"એ વાતની કલ્પના કરવી આશ્ચર્યજનક નથી કે તેમાંથી કેટલાક સિક્કા ભારત પહોંચ્યા."

આજ સુધીનાં સંશોધનો દર્શાવે છે કે ભારતમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં સાતવાહન જેવા તત્કાલીન રાજવંશોના રોમન સામ્રાજ્ય સાથે વેપાર સંબંધો હતા.

તે સમય દરમિયાન ઐતિહાસિક વેપાર માર્ગો કયા હતા તે પણ જાહેર કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્ર પુરાતત્ત્વ અને સંગ્રહાલય વિભાગના સંચાલક ડૉ. તેજસ ગાર્ગે કહે છે, "જો તમે પુરાતત્ત્વીય પુરાવા વિશે વાત કરો તો તો રોમન સામ્રાજ્ય સાથેના વેપારના પુરાવા 'ટાગર' ખાતે મળી આવ્યા છે, જે હવે ધારાશિવ જિલ્લાનું 'તેર' છે," 'તેર' બોરામણીના ભુલભુલામણીથી લગભગ 50 કિલોમીટર દૂર છે.

પહેલી અને બીજી સદીમાં સક્રિય રહેલા આ વેપાર માર્ગો વિશે વાત કરતા ડૉ. ગાર્ગેએ કહ્યું, "એક સમયે નાલાસોપારામાં સોપારા નામનું એક બંદર હતું. તે શુપારકા નામથી પ્રખ્યાત હતું. કોંકણ પ્રદેશમાં ઘણાં બંદરો હતાં. ત્યાંથી, નાનેઘાટ એક ક્રોસિંગ પૉઇન્ટ હતું.

"સોપારા-કલ્યાણ બાદ આપણે નાનેઘાટ થઈને ઘાટની ટોચ પર જુન્નાર પહોંચીએ છીએ."

"જુન્નાર પણ રોમન વેપાર સાથે સંકળાયેલું સ્થળ છે. તેવી જ રીતે, તેઓ નાસિક થઈને પૈઠણ અથવા પ્રતિષ્ઠાન જતા હતા."

"દક્ષિણ ભારતમાં ભૂમધ્ય સમુદ્રથી જે પણ વેપાર થતો, તે નાલાસોપારાના એક પણ બંદર મારફતે થતો ન હતો. તેમાં રાજાપુર બંદરનો પણ ઉલ્લેખ છે."

સચીન પાટીલે સૂચવ્યું, "પછી રાજાપુર બંદરથી, પછી અનુસ્કુરા ઘાટ અને અનુસ્કુરા ઘાટથી કોલ્હાપુર."

"ગ્રીક સમુદ્ર દેવ પોસાઇડન, કોલ્હાપુરમાં મળી આવ્યો છે. ત્યાંથી, મુસાફરીનો માર્ગ મિરાજ, પંઢરપુર અને તેર હોવો જોઈએ."

ઇમેજ સ્રોત, Bharat Cheda

ઇમેજ કૅપ્શન, સચીન પાટીલના અંદાજ મુજબ બોરામણી ભુલભુલામણી લગભગ 2000 વર્ષ જૂની છે

"જ્યારે આ વેપારીઓ દરિયાઈ માર્ગે આવતા, ત્યારે તેઓ સહ્યાદ્રી પર્વતમાળાની ઊંચી ટેકરીઓ જોઈને મૂંઝાઈ જતા. અમે સાંગલી અને કોલ્હાપુર જિલ્લામાં પ્રથમ 11 ભુલભુલામણી શોધી કાઢી છે, જે એવી જગ્યાએ છે જ્યાં દૃષ્ટિ અવરોધાય છે."

પ્રો. પીડી સાબલે સૂચવે છે કે આ વર્તુળો માર્ગદર્શન માટે વેપાર માર્ગ પર હોવાં જોઈએ, "તમે આગળ સીધું કંઈ જોઈ શકતા નથી. બીજી બાજુ ખૂબ જ ઊંચો વિસ્તાર અથવા નીચાણવાળો વિસ્તાર છે. તેથી જ્યાં મૂંઝવણ છે, ત્યાં ભુલભુલામણી છે."

તેથી, સચીન પાટીલનો અંદાજ છે કે ભારતની સૌથી મોટી ભુલભુલામણી, બોરામણીની ઉંમર લગભગ 2000 વર્ષ છે.

"જો આપણે શાસ્ત્રીય રચનાનો વિચાર કરીએ તો તે પહેલી-બીજી સદી સાથે સંકળાયેલી હોઈ શકે છે. પછી, સાતવાહન કાળ દખ્ખણમાં છે. એ સમયે રોમન વેપારીઓ મોટી સંખ્યામાં વેપાર માટે ભારત આવતા હતા."

પાટીલ કહે છે, "તેથી સૌથી નજીકનો અંદાજ રોમન સંસ્કૃતિ, ક્રેટન ટાપુઓના સિક્કા અને સાતવાહન સમયગાળાના વેપાર સંબંધો સાથે છે. સામાન્ય રીતે, આજથી 2000 વર્ષ પહેલાં, એટલે કે, પહેલી સદી સુધી."

અલબત્ત, ફક્ત બોરામણી જ નહીં, પરંતુ વિશ્વભરની તમામ ભુલભુલામણીઓ ઘણા રહસ્યમય પ્રશ્નોના જવાબો ધરબીને બેઠી છે.

એ ખરેખર કોણે બનાવી? વિશ્વભરની સંસ્કૃતિઓમાં એ સમાન કેવી રીતે છે?

આ વિચાર કેવી રીતે ફેલાયો? શું તેની પાછળનું કારણ એક જ છે કે અલગ? આવા ઘણા પ્રશ્નો છે.

ફક્ત વધુ પુરાતત્ત્વીય સંશોધન વડે જ આ પ્રશ્નોના જવાબ મળી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન