કેન-બેતવા નદીના જોડાણની યોજનાનું ખાતમુહૂર્ત, ગુજરાતમાં આવા પ્રોજેક્ટ કયા છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેન નદીમાં હોડી ચલાવી રહેલા નાવિકની ફાઇલ તસવીર
વાંચવાનો સમય: 5 મિનિટ

બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ખજૂરાહોમાં કેન અને બેતવા નદીને જોડવા માટેની પરિયોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું.

કેન-બેતવા નદીના જોડાણનો પ્રોજેક્ટ છ વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે. તેનાથી મધ્ય પ્રદેશ તથા ઉત્તર પ્રદેશના 13 જેટલા જિલ્લાની પીવાના તથા સિંચાઈના પાણીની સમસ્યા હળવી થશે.

વિપક્ષનો આરોપ છે કે આ યોજના કારણે વાઘ, ગીધ તથા ઘડિયાલના સંરક્ષિત વિસ્તારો ડૂબમાં જશે. જળસંચય નિષ્ણાત તથા પર્યાવરણવાદીઓ પણ નદીઓના જોડાણના આ પ્રકારના પ્રોજેક્ટ્સ સામે લાલબત્તી ધરે છે.

ગુજરાતના બે નદીજોડાણ પ્રોજેક્ટ પર સરકાર દ્વારા વિસ્તૃત અભ્યાસ હાથ ધરવામાં આવ્યા છે. આ સિવાય ગુજરાતમાંથી પસાર થતી એક નદી પાડોશના મહાનગરની તરસ છીપાવશે.

નદીઓના જોડાણ અંગે સૌ પહેલાં વિચાર હાથ ધરવામાં આવ્યો તેના લગભગ સાડા ચાર દાયકા બાદ પહેલી યોજના હાથ ધરવામાં આવી છે.

ભારતમાં નદીઓનાં જોડાણ અને 'વાતો'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જળશક્તિ મંત્રાલયના મંત્રી અને નવસારીના સાંસદ સીઆર પાટીલ (જમણે) અને મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી મોહન યાદવ (ડાબે) સાથે વડા પ્રધાન મોદી ખજૂરાહોમાં ખાતમુહૂર્ત સમયે

વર્ષ 1980માં તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધી સરકાર દ્વારા જળસંશાધનોના વિકાસ માટે નૅશનલ પર્સપેક્ટિવ પ્લાનનું ગઠન કર્યું. જેને હિમાલયમાંથી નીકળતી તથા દ્વીકલ્પીય નદીઓનો અભ્યાસનું કામ સોંપવામાં આવ્યું હતું.

એનપીપી દ્વાર હિમાલયમાંથી નીકળતી નદીઓનાં જોડાણના 14 તથા દ્વીકલ્પીય નદીના 16 મળીને કુલ 30 પ્રોજેક્ટની ઓળખ કરી હતી. નૅશનલ વૉટર ડેવલપમૅન્ટ એજન્સીને ઇન્ટરલિંકિંગના અમલીકરણનું કામ સોંપવામાં આવ્યું છે.

વર્ષ 2002માં તત્કાલીન અટલ બિહારી વાજપેયી સરકારે રાષ્ટ્રીય જળનીતિનું ઘડતર કર્યું હતું.

વર્ષ 2014માં નરેન્દ્ર મોદી સરકારે નદીઓના ઇન્ટરલિંકિંગ માટે વિશેષ કમિટીનું ગઠન કર્યું હતું. આ સિવાય એપ્રિલ-2015માં ઇન્ટરલિંકિંગ માટે ટાસ્કફૉર્સનું ગઠન કરવામાં આવ્યું હતું.

ફેબ્રુઆરી-2024ની સ્થિતિ પ્રમાણે, તેમની અનુક્રમે 21 અને 18 બેઠકો મળી છે.

ફેબ્રુઆરી-2024માં તત્કાલીન રાજ્યકક્ષાના જળશક્તિ મંત્રી બિશ્વેર ટુડુએ લોકસભામાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે તમામ 30 પરિયોજનાના પ્રિ-ફિઝિબ્લિટી રિપૉર્ટ બની ગયા છે.

તેમાં 24ના ફિઝિબ્લિટી રિપૉર્ટ તથા 11 લિંકના ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ બની ગયા છે.

કેન-બેતવા જોડાણ પ્રોજેક્ટથી કોને લાભ?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડિસેમ્બર-2021માં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ તથા કેન્દ્ર સરકાર દ્વારા ત્રિપક્ષીય કરાર કરવામાં આવ્યા હતા. કેન-બેતવા લિંક પ્રોજેક્ટ ઑથૉરિટી (કેપીએલબીએ) આ પ્રોજેટના અમલીકરણ માટેનું સ્પેશિયલ પર્સપઝ વ્હિકલ છે.

આ પ્રોજેક્ટને કારણે વારંવાર દુકાળનો ભોગ બનતા બુંદેલખંડ વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હળવી થશે. આ યોજના પાછળ રૂ. 45 હજાર કરોડનો ખર્ચ થશે.

આ પરિયોજના હેઠળ મધ્ય પ્રદેશના છત્તરપુર જિલ્લામાં 110 વર્ષ કરતાં પણ વધુ પુરાણા ગંગઉ ડૅમ નજીક દૌધન બંધનું નિર્માણ કરવામાં આવશે.

આ જોડાણ કરવા માટે 221 કિલોમીટરની કૅનાલનું નિર્માણ કરવામાં આવશે, જેમાંથી બેએક કિલોમીટરની ટનલનો સમાવેશ થાય છે.

મધ્ય પ્રદેશના 8.11 લાખ હેક્ટર અને ઉત્તર પ્રદેશના બે લાખ 51 હજાર હેક્ટરમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ બનશે. મધ્ય પ્રદેશના 41 લાખ તથા ઉત્તર પ્રદેશના 21 લાખ મળીને કુલ 62 લાખની વસતિને 194 મિલિયન ક્યુબિક મીટર પીવાના પાણીની સુવિધા મળશે.

બુંદેલખંડ હેઠળ આવતા મધ્ય પ્રદેશના છત્તરપુર, તિકમગઢ, પન્ના, સાગર દામોહ અને દાંતિયા ઉપરાંત ઉત્તર પ્રદેશના બાંદા, મહોબા, ઝાંસી અને લલિતપુર જિલ્લાને લાભ થશે.

ઉલ્લેખનીય છે કે બુંદેલખંડમાં નહીં આવતા મધ્ય પ્રદેશના વિદિશા, શિવપુરી અને રાયસેન જેવા જિલ્લાને લાભ થશે, તો બુંદેલખંડમાં સમાવિષ્ટ થતા ઉત્તર પ્રદેશના જૌલાન, ચિત્રકૂટ અને હમીરપુરને આ પ્રોજેક્ટથી પ્રત્યક્ષ લાભ નહીં થાય.

આ પ્રોજેક્ટથી 103 મેગાવોટ જળવિદ્યુત તથા 27 મેગાવોટ સોલાર (ઓંકારેશ્વર પાસે પાણી ઉપર) વીજઉત્પાદન થશે.

કેન-બેતવા ઇન્ટરલિંકિંગ યોજનાને રાષ્ટ્રીય મહત્ત્વના પ્રોજેક્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ પરિયોજનાનો 90 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર વહન કરવામાં આવશે અને બાકીની 10 ટકા રકમ રાજ્ય સરકારો ચૂકવશે.

ગુજરાત અને નદીજોડાણ

ઇમેજ સ્રોત, X/NitinPatel

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડૅમનું વધારાનું પાણી રાજ્યની નદીઓ, ડૅમો અને જળાશયોમાં ઠાલવવામાં આવે છે (ફાઇલ તસવીર)

સપ્ટેમ્બર-2017માં પાર-તાપી અને નર્મદા નદીના જોડાણ માટેના મૅમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગનો મુસદ્દો ગુજરાત તથા મહારાષ્ટ્ર સરકારને મોકલવામાં આવ્યો હતો. તેનો ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ પણ તૈયાર છે.

આ પ્રોજેક્ટના અમલીકરણની ચર્ચા શરૂ થતા તેની સામે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓએ વિરોધ કર્યો હતો.

ડિસેમ્બર-2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પ્રસ્તાવિત હતી, એટલે મે-2022માં ગુજરાત સરકારે તેની ઉપર આગળ નહીં વધવાની જાહેરાત કરી હતી.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, 'આ પ્રોજેક્ટ માટે કોઈ રાજ્ય સરકારે મંજૂરી નથી આપી. આદિવાસી ભાઈઓ અને બહેનોની લાગણીઓને ધ્યાને લઈને પ્રોજેક્ટને રદ કરવાનો નિર્ણય કર્યો છે.'

મુંબઈ મહાનગરને પીવાનું પાણી મળે તે માટે દમણગંગા અને પિંજલ નદીને જોડવાની યોજના હાથ વિચારવામાં આવી છે. જેનો ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર છે.

રાજસ્થાન-સાબરમતી લિંક યોજના વિશે ફિઝિબ્લિટી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં નેપાળની શારદા નદીના પાણીને યમુના નદી મારફત રાજસ્થાન અને તેમાંથી સાબરમતીમાં ઠલવવામાં આવશે.

જોકે, આ પ્રોજેક્ટ નેપાળ સરકાર પણ સંકળાયેલી હોવાથી તેના માટે બંને દેશ વચ્ચે કરાર થવા જરૂરી છે.

આ પછી યમુના નદીના જળપ્રવાહના માર્ગમાં આવતા રાજ્યો, રાજસ્થાન અને ગુજરાતની વચ્ચે બહુપક્ષીય કરાર થાય અને કેન્દ્ર સરકાર તેની મધ્યે હોય તો આ યોજના આગળ વધી શકે. જેથી તેને ધરાતલ ઉપર ઊતરતા વર્ષોનો સમય લાગી જશે.

હાલ ગુજરાતમાં નર્મદા નદીના વધારાના પાણીને સાબરમતીમાં ઠાલવવામાં આવે છે. આ સિવાય 'સૌની' યોજના હેઠળ તેને ડૅમો, નદીઓ અને જળાશયોમાં ઠાલવવામાં આવે છે.

કેન-બેતવા પ્રોજેક્ટ સામે સવાલ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેન-બેતવા પ્રોજેક્ટથી પન્ના ટાઇગર રિઝર્વમાં વાઘોની વસાહતને નુકસાન થવાની આશંકા (પ્રતીકાત્મક)

વિપક્ષ કૉંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કેબીએલપીથી પન્ના ટાઇગર રિઝર્વની જૈવવિવિધતા જોખમમાં મૂકાશે.

વર્ષ 2009માં આ પન્નામાંથી વાઘો ગુમ થઈ ગયા હતા. ત્યાં વાઘોને ફરી વસાવવામાં આવ્યા હતા. આજે અલગ-અલગ ઉંમરના 90થી વધુ વાઘ ત્યાં વસવાટ કરે છે.

આ પ્રોજેક્ટને કારણે પન્ના ટાઇગર રિઝર્વ વિભાજિત થઈ જશે અને વાઘ તથા ગીધના રહેણાક જોખમમાં મૂકાશે. 23 લાખ જેટલાં વૃક્ષોનું નિકંદન નીકળી જશે. ત્યાં નિર્માણકાર્ય હાથ ધરાશે જેથી કરીને ખલેલ પહોંચશે.

ઉપરવાસમાં ડૅમ બાંધવાની વૈકલ્પિક યોજના ઉપલબ્ધ હોવા છતાં ઇકૉલૉજીને વ્યાપક નુકસાન થાય તેવો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે નૅશનલ ટાઇગર કન્ઝર્વેશન ઑથૉરિટી તથા વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા પન્ના ટાઇગર રિઝર્વ તથા કેન ઘડિયાલ સૅન્ચ્યુરી દ્વારા લૅન્ડસ્કૅપ મૅનેજમૅન્ટ પ્લાન રજૂ કરશે.

જેમાં ઉત્તર પ્રદેશના એક તથા મધ્ય પ્રદેશના બે વન્યજીવ અભયારણ્યોના વિસ્તારને જોડવાની યોજના વિચારવામાં આવી છે. સરકારનું કહેવું છે કે દરેક તબક્કે નિષ્ણાતો, જંગલ નિયામકો તથા સંબંધિત હિતધારકો સાથે સંવાદ કરવામાં આવી રહ્યો છે.

પર્યાવરણવિદ્દોનું કહેવું છે કે જળવાયુપરિવર્તનને કારણે નદીઓનો પ્રવાહ કેટલો રહેશે, તે નક્કી નથી. ચોક્કસ વિસ્તારમાં પાણી વધુ પ્રમાણમાં ઉપલબ્ધ છ અને અમુક સ્થાનોએ ઓછું પાણી છે એવી અવધારણા મૂકવામાં આવી છે. જે વ્યવહારુ નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.