ઈરાન: જ્યારે અમેરિકનો 444 દિવસ સુધી બંધક રહ્યા અને અમેરિકાએ ઝૂકવું પડ્યું

ઇમેજ સ્રોત, Arnaud DE WILDENBERG/Gamma-Rapho via Getty Images

ઇમેજ કૅપ્શન, બંંધક સંકટ સમયે તેહરાનમાં અમેરિકાની ઍમ્બેસીની છત ઉપર બંદૂકધારી
વાંચવાનો સમય: 6 મિનિટ

આ ઘટના 1979ની ચોથી નવેમ્બરે બની હતી. ઈરાનની રાજધાની તેહરાનમાં આવેલા અમેરિકન દૂતાવાસ પર ઉગ્રવાદી ઇસ્લામિક વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હતો અને 90થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા.

દેશ છોડીને નાસી ગયેલા ઈરાનના શાહનું અમેરિકામાંથી પ્રત્યાર્પણ કરવાની અને ઈરાનમાં તેમની સામે કેસ ચલાવવાની એ વિદ્યાર્થીઓની માંગ હતી.

ઈરાનના રિવૉલ્યુશનરી ગાર્ડ્સ તથા પોલીસે તે વિદ્યાર્થીઓને અમેરિકન દૂતાવાસ કબજે કરતા રોકવા માટે કશું કર્યું ન હતું. ઈરાની ટેલિવિઝને પણ ઘેરાબંધીનાં લાઇવ દૃશ્યો પ્રસારિત કરીને વિદ્યાર્થીઓના કૃત્યને ટેકાનો સંકેત આપ્યો હતો.

લોકોને બંધક બનાવનારાઓ પૈકીની એક વ્યક્તિએ દૂતાવાસની અંદરથી ટેલિફોન મારફતે પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કાર્યવાહી શક્તિ પ્રદર્શન માટે કરવામાં આવી છે. બંધકો સુરક્ષિત છે.

ઘેરાબંધીના બે સપ્તાહ પછી 13 મહિલાઓ તથા કાળા બંધકોને દૂતાવાસમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

ખામેનેઈ-અમેરિકા વચ્ચે પડદા પાછળની કૂટનીતિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બંધક બનાવાયેલા અમેરિકનોની પહેલા દિવસે મીડિયા અને લોકો સામે પરેડ કરાવડાવામાં આવી તે સમયની તસવીર

ઈરાનમાં મહિનાઓથી ચાલી રહેલા રાજકીય અને ધાર્મિક તણાવ બાદ દૂતાવાસ ઉપર આ હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તેની શરૂઆત દાયકાઓ અગાઉ થઈ હતી.

ખામેનેઈને 1964માં શાહ દ્વારા ઈરાનમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આથી આયાતુલ્લા ખામેનેઈ નિર્વસનમાં હતા. જ્યારે બંધક સંકટ ઊભું થયું, ત્યારે ખામેનેઈ ફ્રાન્સમાં હતા.

શાહ રઝા પહેલવી સામેનાં હિંસક પ્રદર્શનો ખામેનેઈના ઇશારે ઈરાનમાં ક્રાંતિમાં પરિણમ્યાં હતાં.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ સમયે ઈરાનમાં અંધાધૂંધી હતી. જાહેર સેવાઓ સ્થગિત થઈ ગઈ હતી. મજૂર હડતાળથી ઑઇલનો પુરવઠો લગભગ થંભી ગયો હતો. એ કારણે પશ્ચિમના દેશો મુશ્કેલીમાં હતા.

આયાતુલ્લા 15 વર્ષના દેશનિકાલ પછી ઈરાન પાછા ફરવા આતુર હતા અને શાહના "વૅકેશન"ને કાયમી બનાવવા કટિબદ્ધ હતા.

જોકે, ખામેનેઈ નર્વસ લશ્કરથી ડરતા હતા. લશ્કરના ટોચના અધિકારીઓને તેમના પ્રત્યે નફરત હતી. તેનાથી પણ વધુ ચિંતાજનક વાત એ હતી કે તે અધિકારીઓ રૉબર્ટ ઈ હ્યુસર નામના અમેરિકન ઍરફોર્સના જનરલ સાથે રોજ મુલાકાત કરતા હતા.

રૉબર્ટ હ્યુસરને રાષ્ટ્રપતિ જિમી કાર્ટરે અમેરિકાના સૈન્ય અધિકારી રૉબર્ટ હ્યુસરને તેહરાન મોકલ્યા હતા, જેમણે સૈન્ય અધિકારીઓને બળવા વિશે નહીં વિચારવા તથા તત્કાલીન વડા પ્રધાનને સહકાર આપવા તાકિદ કરી હતી.

અમેરિકાને 'શેતાન' કહેતા ઇસ્લામિક ગણતંત્ર ઈરાનના સ્થાપક આયાતોલ્લા ખામેનેઈએ 1979ની 27 જાન્યુઆરીએ વૉશિંગ્ટનને એક ગુપ્ત મૅસેજ મોકલ્યો હતો.

જેમાં ખામેઈએ ઈરાની લશ્કરના નેતાઓ તમારી વાત સાંભળે છે, પરંતુ ઈરાની લોકો મારા આદેશોનું પાલન કરે છે.

તેમણે જણાવ્યું હતું કે ઈરાનમાં મારા પદારૂઢ થવાનો માર્ગ મોકળો કરવા જિમી કાર્ટર સૈન્ય પર તેમની વગનો ઉપયોગ કરે તો તેઓ ઈરાનને શાંતર કરશે, જેથી ફરી સ્થિરતા સ્થાપી શકાશે.

ખોમેનેઈએ ખાતરી આપી કે ઈરાનમાં અમેરિકાનાં હિતો તથા અમેરિકન નાગરિકોનું રક્ષણ કરવામાં આવશે.

Sorry, we can’t display this part of the story on this lightweight mobile page.

ખામેનેઈએ પ્રથમ વ્યક્તિગત સંદેશામાં વ્હાઇટ હાઉસને જણાવ્યું હતું કે 27 વર્ષ સુધી તમારી વ્યૂહાત્મક સાથી બની રહેલી વ્યક્તિને ગુમાવવાની સંભાવનાથી ગભરાશો નહીં. તેઓ પણ દોસ્ત જ બની રહેશે.

ઈરાન "માનવતાવાદી ગણતંત્ર હશે, જેનાથી સમગ્ર માનવજાત માટે શાંતિ અને સુલેહના હેતુને લાભ થશે," એવી ખાતરી આપતાં ખામેનેઈએ કહ્યું હતું, "તમને સમજાશે કે અમારે તમારી સાથે ખાસ કોઈ દુશ્મનાવટ નથી."

આયાતુલ્લાહનો સંદેશો વાસ્તવમાં તેમના ડી ફેક્ટો લશ્કરી વડા અને ફ્રાન્સમાં અમેરિકન સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની બે સપ્તાહની સીધા વાટાઘાટો બાદ ઉકેલનો માર્ગ ખુલ્યો હતો.

કાર્ટરની સમજાવટથી ઈરાનના તત્કાલીન સરમુખત્યાર શાસક મોહમ્મદ રઝા શાહ પહલવી, એક અપ્રિય વડાપ્રધાન તથા ચાર લાખ સૈનિકોના વેરવિખેર સૈન્યને પાછળ છોડીને આખરે વિદેશમાં "વૅકેશન" પર ગયા અને ક્યારેય પરત ન ફર્યા.

તેના એક જ સપ્તાહમાં ફેબ્રુઆરી-1979માં ખામેનેઈ ઈરાન પાછા ફર્યા હતા અને તહેરાનની શેરીઓમાં લાખો લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. ખોમેનેઈએ ઈરાનનું નિયંત્રણ સંભાળ્યું અને તેમણે પણ વિદ્યાર્થીઓને ટેકો જાહેર કર્યો હતો.

આયાતુલ્લાહે તત્કાલીન વડા પ્રધાન શાપુર બખ્તિયારને બરતરફ કર્યા હતા અને તેમના સ્થાને મહેદી બઝરગનની નિમણૂક કરી હતી. તેમણે એપ્રિલમાં ઈરાનને ઇસ્લામિક ગણતંત્ર ઘોષિત કર્યું.

આજે લગભગ 46 વર્ષ બાદ પદચ્યુત શાહના મોટા દીકરા હાલ અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડીસીમાં રહે છે અને તેમણે ઈરાનીઓને રસ્તા ઉપર ઊતરીને સરકારનો વિરોધ કરવા હાંકલ કરી છે.

વિરોધપ્રદર્શનો દરમિયાન કેટલાક લોકોએ શાહને પરત લાવવા સંબંધિત નારા પણ લગાવ્યા હતા.

સીઆઈએના જાસૂસોનું દિલધડક અભિયાન

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, 1979માં ઈરાનના પદચ્યુત શાહના મોટા દીકરા વૉશિંગ્ટનમાં રહે છે અને તેમણે લોકોને રસ્તા ઉપર ઊતરવા આહ્વાન કર્યું છે

ખોમેનેઈએ સત્તાનાં સૂત્રો સંભાળ્યા એ પછી પણ તણાવ ચાલુ રહેવા પામ્યો હતો. એપ્રિલ 1980માં એક બચાવ મિશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ તે નિષ્ફળ રહ્યું હતું અને તેમાં આઠ અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા.

બંધક કટોકટી દરમિયાન રિવૉલ્યુશનરી ગાર્ડ્સ આવે તે પહેલાં દૂતાવાસમાં રહેલા છ અમેરિકનો પાછળના દરવાજામાંથી નાસી છૂટ્યા હતા અને તેમણે કૅનેડાના રાજદૂતના ઘરમાં આશરો લીધો હતો.

એક તરફ ઈરાની ક્રાંતિકારીઓ અથવા આંતરરાષ્ટ્રીય મીડિયા તેમને શોધી કાઢશે એવું જોખમ હતું, તો બીજી તરફ તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ જિમી કાર્ટર પર તમામ બંધકોને સુરક્ષિત રીતે પરત લાવવાનું દબાણ હતું.

અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએના ભૂતપૂર્વ વડા ટોની મેન્ડેઝે છ બંધકોને દેશની બહાર કાઢવાનો માર્ગ શોધવાનો હતો, પરંતુ એ પહેલાં તેમણે કોઈને શંકા ન પડે એ રીતે ઈરાનમાં પ્રવેશવાનું હતું.

ઇન્ટરનૅશનલ સ્કૂલ્સ બંધ હોવાથી શિક્ષક તરીકે જઈ શકાય તેમ ન હતું, બીજી બાજુ, અંધાધૂંધીને કારણે ઑઇલ ટેક્નિશિયન કે કૃષિ નિષ્ણાતના સ્વાંગમાં પણ ઈરાનમાં પ્રવેશી શકાય એમ ન હતું.

જાન્યુઆરી 1980માં ખિસ્સામાં 10,000 ડૉલર લઈને તેઓ લૉસ એન્જલસ ગયા હતા. સીઆઈએનો હોલીવૂડ સાથે કામ કરવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે.

તેમણે એક સ્ક્રિપ્ટ રાઇટરને નોકરીએ રાખ્યા અને કામ શરૂ કર્યું. મેન્ડેઝે તેમની નકલી પ્રોડક્શન કંપની સ્ટુડિયો 6 માટે ઑફિસની જગ્યા શોધી કાઢી હતી.

માત્ર બે દિવસમાં 'આર્ગો' નામની ફિલ્મ માટે સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી હતી. તેની સ્ટોરી સાયન્સ ફિક્શન ફિલ્મ સ્ટાર વોર્સ જેવી હતી.

સ્ટુડિયો 6એ આગામી ફિલ્મ વિશે મીડિયામાં ચર્ચા છેડવા હોલીવૂડ રિપોર્ટર અને વૅરાઈટી જેવા સામયિકોનો સંપર્ક કર્યો હતો. ઈરાની શાસન દ્વારા તપાસ કરવામાં આવે તો પોતાની પૃષ્ઠભૂમિ વધારેમાં વધારે વિશ્વસનીય લાગે તેવું મેન્ડેઝ ઇચ્છતા હતા.

સીઆઈએના ઉપરી અધિકારીઓ અને કૅનેડિયન તથા અમેરિકન સરકારના સભ્યોને આ યોજના માટે મંજૂરી આપવા મનાવવામાં મેન્ડેઝને ઘણા સપ્તાહ લાગ્યા હતા. આવા મિશનમાં નિષ્ફળતા બન્ને દેશની સરકારો માટે ખૂબ શરમજનક અને છ બંધકો માટે ખતરનાક સાબિત થઈ શકે તેમ હતી.

પત્ની જોના પણ સીઆઈએનાં કર્મચારી હતાં છતાં પણ જ્યારે મેન્ડેઝ તેહરાન જવા તૈયાર થયા ત્યારે તેમને ખબર ન હતી કે તેમના પતિ શું કરી રહ્યા છે.

જિમી કાર્ટરને આ યોજના બાબતે માહિતી આપવામાં આવી હતી અને તેમણે મેન્ડેઝને એક સ્પેશિયલ નોટ મોકલી હતી, જેમાં લખ્યું હતુઃ ગૂડ લક.

આ અભિયાન સફળ રહ્યું અને આગળ જતાં તેના પરથી હોલીવૂડમાં ફિલ્મ બની, જેનું નામ હતું અર્ગો.

444 દિવસ પછી મુક્તિ

ઇમેજ સ્રોત, H. KOTILAINEN/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, બંધક સંકટના શરૂઆતના દિવસો દરમિયાન બંદૂકધારીઓએ કાળા અમેરિકનો અને મહિલાઓને છોડી મૂક્યાં હતાં

બંધક કટોકટીને કારણે જુલાઈ 1980માં અમેરિકા અને ઈરાન વચ્ચેનો રાજદ્વારી સંબંધ તૂટી ગયો હતો, પરંતુ પડદા પાછળની કૂટનીતિ ચાલુ રહી હતી.

અમેરિકન અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ સહિતની અન્ય બૅન્કો દ્વારા સ્થગિત કરવામાં આવેલી તમામ સંપત્તિ અમે મુક્ત કરીશું, તેવી જાહેરાત અમેરિકાએ એ પછી ઈરાન બંધકોને મુક્ત કરવા સમંત થયું હતું.

રાષ્ટ્રપ્રમુખ જીમી કાર્ટરની અમેરિકાની ચૂંટણીમાં હાર ન થઈ ત્યાં સુધી ઈરાની વિદ્યાર્થી બંધકોને છોડવા તૈયાર ન હતા.

અલ્જેરિયનો મધ્યસ્થી તરીકે કામ કરતા હતા અને કાર્ટરની હારને પગલે અલ્જેરિયનો સાથે નવેસરથી વાટાઘાટનો માર્ગ મોકળો થયો હતો.

1981ની 12 જાન્યુઆરીએ રોનાલ્ડ રીગને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ ગ્રહણ કર્યા એ જ દિવસે આ કટોકટીનો અંત આવ્યો હતો.

444 દિવસ પછી બાવન અમેરિકન બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ પશ્ચિમ જર્મનીના માર્ગે અમેરિકા પહોંચ્યા હતા.

તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રીગનના ખાસ દૂત તરીકે નિયુક્ત કરવામાં આવેલા જીમી કાર્ટર દૂતાવાસના કર્મચારીઓને આવકારવા પહોંચ્યા હતા.

ઈરાની અપહરણકર્તાઓએ બંધક પુરુષો તથા મહિલાઓ સાથે કરેલા "ઘૃણાસ્પદ વર્તન"ની વાતો બહાર આવવા લાગી હતી.

બંધકોના ઘરેથી આવેલા પત્રો તેમની નજર સામે સળગાવવામાં આવતા અને તેમની સાથે મારઝૂડ કરવામાં આવતી હતી.

શાહ ક્યારેય ઈરાન પાછા ફર્યા ન હતા અને જુલાઈ 1980માં ઈજિપ્તમાં દેશનિકાલમાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે આયાતુલ્લાહ ખામેનેઈનું જૂન 1989માં મૃત્યુ થયું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન