અમેરિકાના કયા રાજ્યમાં સૌથી વધારે ગેરકાયદે ગુજરાતીઓ રહે છે, વર્ષે કેટલા ગુજરાતી પકડાય છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાએ ગેરકાયદેસર રીતે પ્રવેશેલા લગભગ 18,000 ભારતીય નાગરિકોની ઓળખ કરી છે(પ્રતીકાત્મક તસવીર)
    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 9 મિનિટ

દસ્તાવેજો વગર અમેરિકામાં રહેતા વિદેશી નાગરિકોનો સામૂહિક દેશનિકાલ એ ડોનાલ્ડ ટ્રમ્પની એક મુખ્ય નીતિ છે. આ નીતિ અનુસારની કાર્યવાહીમાં અમેરિકાએ ગેરકાયદેસર રીતે પ્રવેશેલા લગભગ 18,000 ભારતીય નાગરિકોની ઓળખ કરી હોવાનું કહેવાય છે.

ગયા અઠવાડિયે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા તેના નાગરિકોને પાછા લઇ લેશે અને "માનવ તસ્કરીની ઇકોસિસ્ટમ" પર પણ કડક કાર્યવાહી કરશે.

"આ ખૂબ જ સામાન્ય પરિવારોનાં બાળકો છે. તેમને મોટાં સપના અને વચનો દ્વારા લલચાવામાં આવે છે," વૉશિંગ્ટનની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું.

હવે જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના એ. બી. બુડીમન અને દેવેશ કપૂર દ્વારા કરવામાં આવેલ એક નવા સંશોધનમાં બિનદસ્તાવેજીકૃત ભારતીયોની સંખ્યા, વસ્તી વિષયક માહિતી, યુએસમાં ઘૂસવાની પદ્ધતિઓ, જગ્યાઓ અને વલણો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

ચાલો જોઇએ આ સંશોધનનાં આશ્ચર્યજનક તારણો.

અમેરિકામાં કેટલા ગેરકાયદેસર ભારતીયો રહે છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 5 ફેબ્રુઆરીએ અમેરિકાનું વિમાન 100થી વધુ ભારતીયોને લઈને પંજાબમાં અમૃતસરમાં ઊતર્યું હતું

અનધિકૃત વિદેશી પ્રવાસીઓ યુએસ વસ્તીના 3% છે.

જોકે આમાં દસ્તાવેજ વગર રહેતા ભારતીયોની સંખ્યા અંગે વિવાદ છે. ગણતરીની પદ્ધતિઓ અલગ અલગ હોવાને કારણે અંદાજનું પ્રમાણ બદલાતું હોય છે.

પ્યુ રિસર્ચ સેન્ટર અને સેન્ટર ફૉર માઇગ્રેશન સ્ટડીઝ ઑફ ન્યૂ યૉર્ક (CMS) 2022 સુધીમાં લગભગ 700,000 ભારતીય લોકોનો અંદાજ લગાવે છે. જે તેમને મૅક્સિકો અને અલ સાલ્વાડોર પછીનું ત્રીજા નંબરનું સૌથી મોટું જૂથ છે.

તેનાથી વિપરીત, માઇગ્રેશન પૉલિસી ઇન્સ્ટિટ્યુટ (MPI) પ્રમાણે આ આંકડો 375,000 નો છે. અને ભારતને પાંચમા ક્રમે રાખે છે.

ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યુરિટી (DHS)ના સત્તાવાર સરકારી ડેટામાં 2022માં 220,000 અનધિકૃત ભારતીયો હોવાની વાત કરવામાં આવી હતી.

અનેક અભ્યાસના અંદાજોમાં મોટો તફાવત બિનદસ્તાવેજીકૃત ભારતીય લોકોની સાચી વસ્તી અંગે અનિશ્ચિતતાને પ્રગટ કરે છે.

અમેરિકામાં ગેરકાયદે આવતા લોકોમાં ઘટાડો થયો છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકામાં ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી તરત જ ગેરકાયદે રહેતા પ્રવાસીઓને કાઢી મૂકવાની શરૂઆત કરી છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

યુએસમાં રહેતી કુલ બિનદસ્તાવેજીકૃત સ્થળાંતરિત વસ્તીમાં ભારતીય સ્થળાંતર કરનારાઓનો હિસ્સો નાનકડો જ છે.

જો પ્યુ અને CMSના અંદાજ સાચા હોય તો યુ.એસ.માં લગભગ ચારમાંથી એક ભારતીય ઇમિગ્રન્ટ બિનદસ્તાવેજીકૃત છે. (ભારતીય ઇમિગ્રન્ટ્સ યુ.એસ.માં સૌથી ઝડપથી વિકસતાં લોકો પૈકીના એક છે. જે 1990 માં 600,000 થી વધીને 2022 માં 3.2 મિલિયન જેટલા થઈ ગયા છે.)

DHS એ 2022 માં અંદાજ લગાવ્યો હતો કે યુ.એસ.માં બિનદસ્તાવેજીકૃત ભારતીય લોકો 2016 ની ટોચથી 60% જેટલી ઘટી ગઈ છે. જે 560,000 થી ઘટીને 220,000 થઈ ગઈ છે.

2016 થી 2022 દરમિયાન બિનદસ્તાવેજીકૃત ભારતીયોની સંખ્યામાં આટલો મોટો ઘટાડો કેવી રીતે થયો?

કપૂર કહે છે કે ડેટા સ્પષ્ટ જવાબ આપતો નથી, પરંતુ બુદ્ધિગમ્ય સમજૂતી એ હોઈ શકે છે કે કેટલાકને કાનૂની દરજ્જો મળ્યો અને બીજા પાછા ફર્યા. ખાસ કરીને કોવિડ-સંબંધિત મુશ્કેલીઓને કારણે તેમણે ભારત પરત ફરવું પડ્યું.

જોકે આ અંદાજ 2023 માં યુએસની સરહદોથી પ્રવેશતા ભારતીયોમાં થયેલા વધારાને પ્રતિબિંબિત કરતો નથી. જેનો અર્થ એ પણ થાય કે વાસ્તવિક સંખ્યા હવે વધુ પણ હોઈ શકે છે.

અભ્યાસ મુજબ સરહદ પર વધુ જોવા મળતા હોવા છતાં યુએસ સરકારના અંદાજ મુજબ યુએસ નાણાકીય વર્ષ (FY) 2020 થી 2022 સુધી એકંદર બિનદસ્તાવેજીકૃત ભારતીય વસ્તીમાં કોઈ સ્પષ્ટ વધારો જોવા મળતો નથી.

આ જોવા મળવાની બાબત એવા કિસ્સાઓનો ઉલ્લેખ કરે છે જ્યાં લોકોને મૅક્સિકો અથવા કૅનેડાની સરહદ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે યુએસ અધિકારીઓ દ્વારા અટકાવવામાં આવે છે.

ભારતીઓ દ્વારા મળેલા વિઝા કરતા વધારે રહેવાનો આંકડો 2016 થી 1.5% પર જ સ્થિર રહ્યો છે.

ડિફર્ડ ઍક્શન ફૉર ચાઇલ્ડહુડ અરાઇવલ્સ (Daca) એક એવો કાર્યક્રમ છે કે જે સ્થળાંતરકારોને રક્ષણ આપે છે. ખાસ કરીને જેઓ બાળપણમાં જ યુએસ આવ્યા હોય. આ સંસ્થા પ્રમાણે પણ ભારતીયોની સંખ્યા 2017 માં 2,600 હતી જે ઘટીને 2024 માં 1,600 થઈ ગઈ છે.

આ વાતનો સાર એ છે કે બિનદસ્તાવેજીકૃત ભારતીય લોકોની સંખ્યામાં વધારો થયો છે. જે 1990માં 0.8% થી વધીને 2015 માં 3.9% થયો અને પછી 2022 માં તેમાં ઘટાડો થયો અને 2% થયો.

અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાના રસ્તા કેમ બદલાતા રહ્યા?

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ભારતીયોના ડિપૉર્ટેશન માટે અમેરિકાના સૈન્ય વિમાનનો ઉપયોગ થાય છે

યુએસમાં બે મુખ્ય જમીની સરહદો છે.

ઍરિઝોના, કૅલિફોર્નિયા, ન્યુ મૅક્સિકો અને ટૅક્સાસ રાજ્યોની દક્ષિણ સરહદ કે જે મૅક્સિકો સાથે જોડાયેલી છે તે સ્થળાંતર કરનારાઓનો મુખ્ય માર્ગ છે. ત્યારબાદ 11 રાજ્યોમાં ફેલાયેલી યુએસ-કૅનેડા સરહદ છે.

2010 પહેલાં બંને સરહદો પર ભારતીયો સાથેનાં ઍન્કાઉન્ટર ન્યૂનતમ હતાં. તે ક્યારેય 1,000 થી વધારે નહોતાં.

ભારતીયો સાથેનાં લગભગ તમામ ઍન્કાઉન્ટર 2010 થી યુએસ-મૅક્સિકોની દક્ષિણી સરહદ પર જોવા મળ્યાં.

નાણાકીય વર્ષ 2024 માં ઉત્તરીય સરહદ પર ભારતીય નાગરિકો સાથેનાં ઍન્કાઉન્ટર વધીને 36% જેટલાં થઇ ગયાં જે પાછલા વર્ષમાં માત્ર 4% હતાં.

કૅનેડા ભારતીયો માટે વધુ સુલભ પ્રવેશ માટેની જગ્યા બની ગયું હતું. ત્યાં અમેરિકા કરતાં વિઝિટર વિઝા માટેની પ્રોસેસિંગનો સમય ઓછો હતો.

ઉપરાંત 2021 થી સરહદ પાર કરવાના પ્રયાસોમાં વધારો થયો હતો અને 2023 માં મૅક્સિકો સરહદ પર આ પ્રકારે ઍન્કાઉન્ટરો તેની ચરમસીમાએ પહોંચ્યાં હતાં.

કપૂરે કહ્યું, "આ વાત માત્ર ભારતીયોને જ લાગુ નથી પડતી. બાઇડન પ્રમુખ તરીકે ચૂંટાયા પછી અમેરિકામાં આવવાનો પ્રયાસ કરી રહેલા સ્થળાંતરકારોમાં આવેલા ઉછાળાનો ભારતીયો પણ એક ભાગ માત્ર હતા. એવું લાગે કે સ્થળાંતર કરનારાઓની મોટી ભરતી આવી રહી છે અને ભારતીયો પણ તેનો એક ભાગ હતા."

અમેરિકામાં ગેરકાયદેસર ભારતીયો ક્યાં રહે છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકામાં કૅલિફોર્નિયા, ટૅક્સાસ, ન્યૂ જર્સી, ન્યૂ યૉર્ક અને ઇલિનોઇસમાં ગેરકાયદે રહેતા ભારતીયોની સંખ્યા વધારે હોવાનું અભ્યાસમાં જણાયું છે. આ ઉપરાંત ઓહિયો, મિશિગન અને પૅન્સિલવેનિયામાં પણ આ પ્રકારે રહેતા ભારતીયોની સંખ્યા વધુ છે (પ્રતીકાત્મક તસવીર)

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સૌથી વધુ ભારતીય ઇમિગ્રન્ટ વસ્તી ધરાવતાં રાજ્યો જેવાં કે કૅલિફોર્નિયા (112,000), ટેક્સાસ (61,000), ન્યૂ જર્સી (55,000), ન્યૂ યૉર્ક (43,000) અને ઇલિનોઇસ (31,000) માં જ અનધિકૃત ભારતીય ઇમિગ્રન્ટ્સની સંખ્યા પણ સૌથી વધુ છે.

ઓહિયો (16%), મિશિગન (14%), ન્યૂ જર્સી (12%) અને પૅન્સિલવેનિયા (11%)માં અનધિકૃત વસ્તીમાં ભારતીયોનો નોંધપાત્ર હિસ્સો છે.

દરમિયાન જે રાજ્યોમાં 20% થી વધુ ભારતીય ઇમિગ્રન્ટ્સ અનધિકૃત છે તેમાં ટૅનેસી, ઇન્ડિયાના, જ્યૉર્જિયા, વિસ્કોન્સિન અને કૅલિફોર્નિયાનો સમાવેશ થાય છે.

કપૂર જણાવે છે, "અમે આમ જ વિચારતા હતા કારણ કે વંશીય ( રાજ્ય, જ્ઞાતિ, દેશ ) લોકો સાથે વ્યવસાયમાં ભળવું અને કામ શોધવાનું સરળ છે. જેમ કે ગુજરાતી-અમેરિકન માટે કામ કરતો ગુજરાતી અથવા સમાન સેટઅપમાં પંજાબી/શીખ."

અમેરિકામાં આશ્રય માંગનારા ભારતીયો કોણ છે?

ઇમેજ કૅપ્શન, અમેરિકાથી ગેરકાયદે ગુજરાતીઓને લઈને આવેલું વિમાન રવિવારે અમદાવાદ ઍરપૉર્ટ પર ઊતર્યું હતું

યુએસ ઇમિગ્રેશન સિસ્ટમ સરહદ પર અટકાયતમાં લેવામાં આવેલા લોકોને પુછે છે કે શું તેમને વતનમાં સતામણીનો ડર છે. આને ફીયર સ્ક્રિનિંગ કહેવામાં આવે છે.

જે આમાંથી પસાર થઇ જાય તેઓ આગળ કોર્ટમાં જઇને આશ્રય માંગી શકે છે. આના કારણે સરહદ પર વધતી જતી ઘૂસણખોરીની આશંકા સાથે આશ્રય માંગનારાની અરજીઓમાં પણ વધારો થાય છે.

વહીવટી ડેટા ભારતીય આશ્રય માંગનારાની ચોક્કસ વસ્તી વિષયક માહિતી જાહેર કરતું નથી. પરંતુ તેમના દ્વારા બોલાતી ભાષાઓનો કોર્ટના રેકૉર્ડ આ અંગે થોડી સમજ આપે છે.

2001થી ભારતના પંજાબી બોલનારાઓએ ભારતીય લોકો આવા આશ્રય માંગનારાઓમાં પ્રભુત્વ ધરાવે છે. પંજાબી પછી ભારતીય આશ્રય શોધનારાઓ હિન્દી (14%), અંગ્રેજી (8%) અને ગુજરાતી (7%) બોલતા હતા.

આ લોકોએ નાણાકીય વર્ષ 2001-2022 દરમિયાન 66% આશ્રય કેસ દાખલ કર્યા છે જે સૂચવે છે કે પંજાબ અને પડોશી રાજ્ય હરિયાણા મુખ્ય સ્થળાંતર સ્ત્રોતો છે.

આશ્રય અરજી મંજુર થવાનો દર પણ પંજાબી બોલનારાઓનો સૌથી વધુ (63%) હતો, ત્યારબાદ હિન્દી બોલનારાઓ (58%) હતા. આનાથી વિપરીત ગુજરાતી બોલનારાઓના ફક્ત એક ચતુર્થાંશ (25%) કેસ જ મંજૂર થયા હતા.

અમેરિકામાં રહેવા ભારતીયો કેવાં કેવાં બહાનાં બનાવે છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકામાં પ્રવેશવાના અનેક ગેરકાયદેસર રસ્તાઓમાંથી એક એવા ડેરિયન ગૅપમાંથી પસાર થઈ રહેલા માઇગ્રન્ટ

ઑર્ગેનાઇઝેશન ફૉર ઇકોનોમિક કૉ-ઑપરેશન ઍન્ડ ડેવલપમેન્ટ (OECD) દ્વારા એકત્રિત કરાયેલા યુએસ ડેટા દર્શાવે છે કે યુએસમાં ભારતીય આશ્રય માંગનારાઓની સંખ્યામાં ભારે વધારો થયો છે.

આ પ્રકારની અરજીઓમાં માત્ર બે જ વર્ષમાં દસ ગણો વધારો થયો છે. જે 2021 માં લગભગ 5,000 હતી જે વધીને 2023 માં 51,000 થી વધુ થઈ ગઈ છે.

અભ્યાસ કહે છે કે આ વધારો યુએસમાં સૌથી નાટકીય ઢબનો છે જ્યારે આવું જ વલણ કૅનેડા, યુકે અને ઑસ્ટ્રેલિયામાં પણ જોવા મળે છે. આ દેશોમાં પણ ભારતીયો આશ્રય-શોધનારાં જૂથો પૈકીનો સૌથી મોટો હિસ્સો છે.

કપૂર માને છે કે "મોટે ભાગે આ વતનમાં સતામણીની વાત એ ભયને બદલે આશ્રય પ્રણાલી સાથે રમત રમવાનો એક માર્ગ છે, કારણ કે તેની પ્રક્રિયામાં વર્ષો લાગે છે".

આશ્રય મેળવનારા પંજાબી ભાષીઓની મોટી સંખ્યાને જોતાં પહેલા કૉંગ્રેસ પાર્ટી (2017-22) અને બાદમાં આમ આદમી પાર્ટી (2022-હાલ) દ્વારા શાસિત આ રાજ્યમાં એવો તો કયો ફેરફાર થયો કે આ વધારો જોવા મળ્યો તે સ્પષ્ટ નથી.

ટ્રમ્પના બીજા રાષ્ટ્રપતિ કાળ દરમિયાન આ પ્રકારની આશ્રય અરજીઓમાં ઘટાડો થવાની તૈયારી દેખાઇ રહી છે.

તેમના પહેલા અઠવાડિયામાં જ સ્થળાંતર કરનારાઓ માટેની એક મુખ્ય ઍપ્લિકેશન બંધ કરી દેવામાં આવી અને તેને ઍપ-સ્ટોર્સમાંથી દૂર કરવામાં આવી. જેના કારણે લગભગ 300,000 પૅન્ડિંગ ઍપૉઇન્ટમેન્ટ રદ કરવામાં આવી છે. જેમાં પહેલાથી જ ચાલી રહેલા આશ્રયના કેસોનો પણ સમાવેશ થાય છે.

અમેરિકામાં આશ્રય શોધનારાઓ ભારત વિશે શું માહિતી આપે છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુએસ ડેટા દર્શાવે છે કે મોટાભાગના ભારતીય આશ્રય શોધનારાઓ પંજાબી અને ગુજરાતી છે

યુએસ ડેટા દર્શાવે છે કે મોટાભાગના ભારતીય આશ્રય શોધનારાઓ પંજાબી અને ગુજરાતી છે. ભારતના સમૃદ્ધ રાજ્યોનાં આ જૂથો જેઓ સ્થળાંતર માટેનો મોટો ખર્ચ વધુ સારી રીતે ઉઠાવી શકે છે.

અભ્યાસ કહે છે કે તેનાથી વિપરીત ભારતીય મુસ્લિમો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો અને માઓવાદી હિંસા અને કાશ્મીર જેવા સતત સંઘર્ષમાં રહેતા વિસ્તારના લોકો ભાગ્યે જ આશ્રય શોધે છે.

મોટાભાગના ભારતીય આશ્રય શોધનારાઓ આર્થિક સ્થળાંતર કરનારા છે જે દેશના સૌથી ગરીબ અથવા સંઘર્ષગ્રસ્ત પ્રદેશોમાંથી નથી આવતા.

યુએસની કઠિન મુસાફરી - પછી ભલે તે લેટિન અમેરિકા થઈને હોય કે કૅનેડામાં "નકલી" વિદ્યાર્થીઓ તરીકે - ભારતની માથાદીઠ આવક કરતાં 30-100 ગણી વધુ ખર્ચાળ છે. જેના કારણે આ સ્થળાંતર ફક્ત એ લોકો માટે જ સુલભ છે જેમની પાસે સંપત્તિ છે. અથવા તો વેચવા અથવા ગીરવે મૂકવા માટે કોઇ સંપત્તિ (જમીન, સોનું) હોય.

એટલે એ આશ્ચર્યની વાત નથી કે પંજાબ અને ગુજરાત કે જ્યાંથી મોટેભાગના અનધિકૃત ભારતીયો આવે છે તે ભારતના સમૃદ્ધ પ્રદેશોમાંના એક છે. જ્યાં જમીનનાં મૂલ્યો ખેતીમાંથી મળતાં વળતર કરતાં ઘણાં વધારે છે.

અભ્યાસ કહે છે કે "ગેરકાયદેસર સ્થળાંતર માટે પણ ઘણા પૈસા લાગે છે."

અમેરિકામાં ગેરકાયદે જવાનું કારણ

લેખકોનું કહેવું છે કે શરણ માટેના વધતા દાવાઓમાં ભારતમાં - લોકશાહીનું પતન – સાથે જોડાયેલા પ્રતીત થાય છે. પરંતુ આનો સબંધ કાર્યકારણ સાથે મેળ નથી ખાતો.

પંજાબ અને ગુજરાતમાં સ્થળાંતરનો લાંબો ઇતિહાસ રહ્યો છે. જેમાં સ્થળાંતર કરનારાઓ ફક્ત યુએસ જ નહીં પરંતુ યુકે, કૅનેડા અને ઑસ્ટ્રેલિયા પણ જાય છે.

રૅમિટન્સમાં (વિદેશથી ભારત મોકલાતું ધન ) ભારતને 2023 માં અંદાજે $120 બિલિયન મળ્યા હતા. આના લીધે વધુ સારા જીવની આકાંક્ષા આના માટે જવાબદાર છે નહીં કે ગરીબી. વિદેશમાં રહેતા અન્ય લોકોનાં જીવન સાથેની બરાબરી પણ આ માટે જવાબદાર છે.

ભારતમાં એજન્ટો અને દલાલોના સમાંતર ઉદ્યોગે આ માંગનો અથવા આકાંક્ષાનો લાભ લીધો છે.

અભ્યાસ કહે છે કે, ભારત સરકારે આ ગેરકાયદેસર સ્થળાંતરનો મુદ્દે ધ્યાન જ નથી આપ્યું કારણ કે આ મુદ્દો જે દેશમાં લોકો જતા હોય છે તેના માટે વધુ ગંભીર હોય છે નહીં કે જ્યાંથી જતા હોય.

અમેરિકાથી કેટલા ભારતીયોને દેશનિકાલ કરવામાં આવ્યા છે?

ભારતના વિદેશ મંત્રાલય અનુસાર 2009 અને 2024 ની વચ્ચે લગભગ 16,000 ભારતીયોનો (અમેરિકામાંથી) દેશનિકાલ કરવામાં આવ્યો હતો.

ઓબામાના શાસનકાળમાં વર્ષે સરેરાશ 750, ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં 1,550 અને બાઇડન શાસનકાળમાં 900 જેટલા લોકો દેશનિકાલ થતા હતા.

નાણાકીય વર્ષ 2023 અને 2024 વચ્ચે ભારતીય સ્થળાંતર કરનારાઓને દેશનિકાલ કરવામાં વધારો થયો હતો. પરંતુ 2020માં લગભગ 2,300 દેશનિકાલ સાથે આ સંખ્યા સૌથી વધુ હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.